પ્રણવ મુખરજી આગામી 24મી જુનના રોજ નાણામંત્રી પદેથી રાજીનામું આપશે અને 25મી ના રોજ નોમીનેશન દાખલ ભરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મમતા બેનરજીએ અબ્દુલ કલામના નામ પર પોતાનું વલણ યથાવત રાખ્યું હતું. દેશના આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવારને લઈને ચાલી રહેલી ગડમથલ પર પૂર્ણવિરામ મુકતા કોંગ્રેસે પોતાના તરફથી પ્રણવ મુખરજીનું નામ લગભગ નક્કી કરી દીધું છે. આજે સાંજે મળનારી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી પવન કુમાર બંસલ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પ્રણવ મુખરજીને લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની વિધિ હાથ ધરવામાં આવશે. જ્યારે બીજી બાજુ સત્તાધારી યુપીએ સંગઠનના ઘટકદળ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનરજીએ પોતાનું વલણ અક્કડ રાખતાં અબ્દુલ કલામના નામનું સમર્થન યથાવત રાખ્યું હતું. પરંતુ રાજકિય ગરમાગરમી વચ્ચે અખરે મુલાયમ સિંહ યાદવ કેન્દ્રના પક્ષમાં બેસી જાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે તો મુલાયમ સિંહ પ્રણવ મુખરજીના નામને લઈને સમહત પણ થઈ ગયા છે. મુલાયમ સિંહના ભાઈ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે પણ તેમની પાર્ટી ન તો કેન્દ્ર સરકારમાં સામેલ થશે અને ન તો તે મધ્યવર્તી ચૂંટણીની અપેક્ષા રાખી રહી હોવાનું જણાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. જોકે ભાજપ તથા તેના સાથી પક્ષો (એનડીએ)એ હજી સુધી પોતાના તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતુ એનડીએ તરફથી પણ લગભગ અબ્દુલ કલામનું નામ જ જાહેર કરવામાં તેમ પૂર્ણપણે માનવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ આ વિષે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને સર્વાનુંમતે નિર્ણય લેવામાં આવશે. અગાઉ સોનિયા ગાંધી અને મમતા બેનરજી વચ્ચેની બેઠકમાં પ્રણવની સાથો ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના નામ પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ અંતિમ સહમતિ સધાઈ ન હતી.