આજે અષાઢી બીજના શુભ દિવસે જય જગન્નાથ...ના નારાઓ સાથે ભગવાન જગન્નાથ, શુભદ્રાજી તથા ભગવાન બલરામની અમદાવાદમાં રથયાત્રા નિકળી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત પહિંદ વિધિ કરાવી 135મી રથયાત્રાને વહેલી સવારે 5 વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી ત્રણેય રથોને નગરચર્યા માટે રવાના કરવામાં આવ્યા હતાં. રથયાત્રા મંદિરની બહાર નિકળતાની સાથે જ દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. તેવી જ રીતે મોટી સંખ્યામાં આવી પહોંચેલી મહિલા શ્રદ્ધાળુઓએ હાથમાં કરતાલ અને મંજીરાના મધૂર સુરો રેલાવીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અમદાવાદ શહેરના ખુણેખુણેથી તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી હોવા છતાં વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહી હતી. રથયાત્રાના પ્રસ્થાન સાથે જ શ્રદ્ધાળુઓનો કાફલો તથા અખાડા, તથા સુરક્ષા માટે પોલીસ વાહનો રવાના થયા હતાં. દિવસભરની નગરચર્યા દરમિયાન ત્રણેય રથો સરસપુર ખાતેના મોસાળ સહિત અનેક સ્થળોએ રોકાણ કરી નિયમિત રીતે આગળ વધશે. ફણગાળેલા મગનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. રથયાત્રા નિમિત્તે નગરજનો દ્વારા અનેક ઠેકાણે પાણી, શરબત તથા નાસ્તાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાંજના સમયે નિર્ધારીત સમયે ભગવાનજી પોતાના મંદિરમાં પુન: પ્રસ્થાન કરશે. વહેલી સવારે નરેન્દ્ર મોદીએ કાફલા સાથે શહેરના જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચ્યા હતાં. મોદીના આવતાની સાથે જ લોકોમાં જાણે નવી જ ઉષ્માનો સંચાર થયો હોય તેમ જણાતું હતું. લોકોના ઉત્સાહને ઝીલતા મુખ્યમંત્રી મોદી મંદિરમાં પ્રવેશ્યા હતાં. આ સાથે જ સુરક્ષાજવાનોએ મંદિરનો દરવાજો બંધ કરી દીધો હતો. મોદીએ પહિંદ વિધિ પૂર્ણ કરી ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યો હતો. ત્યાર બાદ ત્રણેય રથોએ કતારબદ્ધ રીતે નગરચર્યા માટે નિકળ્યાં હતાં. રથયાત્રા દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌપ્રથમવાર ભગવાન જગન્નાથ, શુભદ્રાજી અને બલરામજીના ત્રણેય રથોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા હતાં. રથયાત્રા નિમિત્તે બે દિવસ અગાઉથી જ પોલીસના લગભગ 15000 જવાનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત કરી રહ્યાં હતાં. તેવી જ રીથે હથિયારોથી સજ્જ એસઆરપી, સીઆરપીએફ, અને બીએસએફના જવાનો ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અઘટીત ઘટના ટાળવા ખડેપગે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં હોમગાર્ડ કાફલો પણ શહેરના બંદોબસ્તમાં વ્યસ્ત હતો.