દિલ્હીથી પાછા આવ્યા પછી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ આવતી કાલે પહેલી વાર પોતાના ગાંધીનગર ઘરે મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગમાં સુરેશ મહેતા, કાશીરામ રાણા, નલિન ભટ્ટ અને ગોરધન ઝડફિયા જેવા ગુજરાત બીજેપીના એક સમયના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે. કાલે બપોરે ૩.૩૦ વાગ્યે થનારી આ મીટિંગમાં કેશુભાઈ પટેલ અનેક મહત્વના નિર્ણયો લે એવી શક્યતા છે. આ મીટિંગ માટે કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘જે કંઈ થઈ રહ્યું છે એ ગુજરાતના હિત માટે થઈ રહ્યું છે. ગુજરાત માટે આગળ આવવાની જરૂર હતી એટલે હું આગળ આવ્યો છું અને આ વખતે પાછા પગ કરવાની કોઈ વાત આવતી જ નથી.’ આવતી કાલે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલના બંગલે થનારી મીટિંગમાં જવા માટે જેમને આમંત્રણ મળ્યું છે એ એમજેપીના પ્રેસિડન્ટ ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે ‘કાલે જે બેઠક થશે એ બેઠકમાં કેશુભાઈને સાંભળ્યાં પછી અમે તેમને અને અન્ય આદરણીય નેતાઓને એમજેપીમાં જોડાવા આમંત્રણ આપવાના છીએ.’