વડાપ્રધાન ડૉ. મનમહોન સિંઘે સ્વતંત્રતા દિવસ પર સવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેમણે પહેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. દેશની જનતાને અહીંથી તેમણે સંબોધન કર્યું હતું. દેશના 66મા સ્વતંત્રતા દિવસ પર સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, ત્યારે લાલ કિલ્લા પર પણ તેની ધૂમ જોવા મળતી હતી. સ્વતંત્રતા દિવસના અનુસંધાને લાલ કિલ્લાની આજુબાજુ તથા સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રંસગે કેન્દ્ર સરકારના પ્રધાનો કપિલ સિબ્બલ, આનંદ શર્મા, એ. કે. એન્ટોની,. પી. ચિદમ્બરમ વગેરે હાજર રહ્યાં હતાં. ઉપરાંત લોકસભાના સ્પીકર મીરા કુમાર અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. વડાપ્રધાને લાલકિલ્લા પરથી કરેલાં પ્રજાજોગ સંબોધન અને કાર્યક્રમના મુખ્ય અંશો આ પ્રમાણે છે. -દેશમાંથી ભ્રષ્ટાચારને નાબુદ કરવો જરૂરી છે. રાજ્યસભામાં જનલોકપાલ બીલને પસાર કરવા માટે રાજકીય પક્ષો સરકારની મદદ કરે. -જીડીપીનો લક્ષ્યાંક 6.5 હાંસલ કરવાનો લક્ષ્યાંક -ખરાબ ચોમાસાંનાં કારણે ખેત ઉત્પાદન પર અસર થઈ શકે છે, પરંતુ દેશનાં અનાજનાં ભંડારો ભરેલાં હોવાથી ચિંતાને કારણ નહીં -દેશને મંદીથી બચાવવા માટે પગલાં લેવાની જરૂર છે. આ માટે સરકાર કટિબદ્ધ છે. -દેશમાં એક વર્ષ દરમિયાન 51 હજાર સ્કૂલો ખોલવામાં આવી -દેશભરમાં દુરદર્શન દ્વારા લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનાં સંબોધનનું સીધું પ્રસારણ -વિશેષ બુલેટપ્રૂફ બોક્સમાંથી વડાપ્રધાનનું સંબોધન -વડાપ્રધાને દેશમાંથી ગરીબી અને નિરક્ષરતાને હટાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. -દેશમાં ગરીબ વર્ગને મફતમાં જીવ બચાવવા જરૂરી દવાઓ મળે તે માટેની યોજના પર સરકાર કામ કરી રહી છે. -વડાપ્રધાને આગામી પાંચ વર્ષમાં દેશનાં તમામ ઘરોને વીજળી પૂરી પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. -યુવાનો માટે વિવિધ યોજનાઓ સરકાર તૈયાર કરી રહી છે. -ગ્રામીણ આરોગ્ય મિશનને ટૂંક સમયમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન બનાવવામાં આવશે. -ગરીબોને ઘર બનાવવા માટે વ્યાજના દરમાં છૂટ આપવામાં આવશે. -આંતરિક સુરક્ષા સરકારની પ્રાથમિક્તા છે. -નક્સલવાદ દેશની સામે મુખ્ય પડકાર છે, જેને નાથવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. -આસામમાં હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે.