રાજ્ય સરકારના પ્રવકતા, આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ મહોદયા સમક્ષ જઇને, ગુજરાત સરકાર વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોનું આવેદનપત્ર આપનારા ગુજરાત કોંગ્રેસના નેતાઓને, અત્યંત આકરો અને સણસણતો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની ભ્રષ્ટાચારી રીતિ-નીતિઓ અને કોંગ્રેસીઓના બેફામ ભ્રષ્ટાચારોના કારણે ભારતની આબરૂના દરરોજ લીરેલીરા ઉડી રહ્યા છે અને આખા દેશમાં જનતા જનાર્દનના ઉગ્ર આક્રોશથી કેન્દ્રના ભ્રષ્ટ કોંગ્રેસ શાસનના પાયા હચમચી ઉઠયા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની નરેન્દ્રભાઇ મોદીની દેશ અને દુનિયામાં પારદર્શી અને પ્રમાણિક સરકારને બદનામ કરવા ‘‘જૂઠાણાનું ચાર્ટર'' દેશની જનતાની આગળ ધરીને, કોંગ્રેસના દિલ્હી દરબારના ભ્રષ્ટ કાળાં કરતૂતોને છાવરવાના નિષ્ફળ હવાતીયાં માર્યા છે.તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ એક તસુભાર પણ પૂરાવો હોત તો કોંગ્રેસીઓએ કયારનાય રહેંસી નાંખ્યા હોત પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજ્યની આ સરકાર સામે જૂઠાણાની ભરમાર ચલાવ્યા પછી પણ, જનતાને ગળે પોતાની વાત ઉતરાવી શકયા નથી કારણ કે કોંગ્રેસની રગરગમાં જૂઠાણા અને ભ્રષ્ટાચાર ખદબદે છે એટલે ગુજરાતની જનતા કોંગ્રેસ ઉપર તસુભાર પણ ભરોસો મૂકવા માંગતી નથી. આમ, કોંગ્રેસે પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે એટલે હવે સીબીઆઇની દુકાન ખોલીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને સરકારની સામે ત્રાગું કરવા નીકળ્યા છે. સીબીઆઇએ કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારના ઇશારે ગુજરાતની વર્તમાન પ્રજાકીય ચૂંટાયેલી ભાજપાની સરકાર ઉપર જૂલ્મો આચરવાના જે પેંતરા રચ્યા છે તે પણ જનતા જનાદર્નમાં સરાજાહેર છે.મુખ્યમંત્રીશ્રી સામે એક પણ જૂઠાણાં ટકી શકયા નથી એટલે ‘હાર્યો જૂગારી બમણુ રમે' એ રીતે કોંગ્રેસી નેતાઓએ ગુજરાતની જનતાની સરીયામ ઉપેક્ષાથી, હવે દિલ્હીમાં જઇને તેના કોંગ્રેસી સર્વેસર્વાને ખૂશ કરવા અને મીડીયાની સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો આ હાસ્યાસ્પદ અને વાહિયાત કારસો રચ્યો છે, એમ બંને પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દિલ્હીમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર આખેઆખી, એક પછી એક ભ્રષ્ટાચારના ગંભીર કૌભાંડોમાં ઘેરાઇ ગઇ છે અને કેન્દ્રના મંત્રીઓને અને તેના વચેટીયાઓને જેલમાં જવાનો વારો આવ્યો છે, તેથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને ઘેરવા માટે સીબીઆઇને હાથવગા હથિયાર તરીકે વાપરવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીને હુમલાનું લક્ષ્ય બનાવીને, મીડીયામાં પ્રસિધ્ધિ મેળવી કેન્દ્રના કોંગ્રેસી હાઇકમાન્ડને ખૂશ કરવાનો આજનો કારસો પણ નિષ્ફળ ગયો છે. કારણ, હવે દેશની જનતા પણ જાણી ગઇ છે કે દેશમાં કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારોએ એવી માઝા મૂકી દીધી છે કે ભારતની આબરૂ ધૂળધાણી થઇ ગઇ છે. વિશ્વમાં એકમાત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીને જ ભ્રષ્ટાચારથી તદ્દન મૂકત એવા નિષ્કલંક અને પ્રમાણિક રાજનેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે ત્યારે, ગુજરાતના કોંગ્રેસીઓના ત્રાગાં કેટલાં વાહિયાત છે, તે પણ દેશની જનતાએ જાણી લીધું છે.ગુજરાતની ભાજપા સરકારની બધી જ નીતિઓ અને વહીવટ એટલા પારદર્શક અને સ્વયંસ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર આચરવા માંગતા ભૂતકાળના કોંગ્રેસી વચેટીયાઓની દાળ ગળતી નથી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે જ, ગુજરાતના પ્રશાસનિક વહીવટી સુધારા અને ગુણાત્મક પરિવર્તનની સિધ્ધિઓ માટે સંખ્યાબંધ એવોર્ડ આપેલા છે. એટલે શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ રાજકીય આક્ષેપો અને બદનામીના અપપ્રચાર સિવાય કોંગ્રેસી નેતાઓ કશું જ કરી શકતા નથી એનો વસવસો કેન્દ્રની કોંગ્રેસી સરકારને થતો રહ્યો છે. અને તેનો ભોગ બનેલા ગુજરાતના કોંગ્રેસી નેતાઓ હવે, તદ્દન બેફામ અને બેજવાબદાર જૂઠાણાં ફરીથી ને ફરીથી મીડીયામાં વહેતાં કરવાની આત્મપ્રતારણામાં ઉજાગરા કરે છે.કોંગ્રેસના મેમોરેન્ડમમાં ગાંધીનગરમાં ઉદ્યોગોને જમીનો ફાળવવામાં સરકાર સામેના ભ્રષ્ટાચારના જૂઠાણા કેટલાં બેબૂનિયાદ છે તેના દ્રષ્ટાંત રૂપે સણસણતો જવાબ આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ઇન્ફરમેશન ટેકનોલોજીના વિકાસ માટે, ગુજરાતની વર્તમાન સરકારે ર૦૦૬માં જે પ્રોત્સાહક નીતિ પાંચ વર્ષ માટે અમલમાં મૂકી હતી તેમાં સરકારની પારદર્શી નીતિ અન્વયે ઉદ્યોગોને જે જમીન આપવામાં આવી તે તત્કાલિન બજાર ધોરણે રૂા. ૧૧૦૦ થી ૬૦૦૦ ચો.મી.ના ભાવે આપવામાં આવી છે જ્યારે અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આઇ.ટી. કંપનીને પૂણે, હૈદ્રાબાદ, ત્રિવેન્દ્રમ, મેંગ્લોર, ચંડીગઢ જેવા મેટ્રો મહાનગરોમાં જે જમીનો અપાઇ છે તે રૂા. ૧રપ થી પ૪૪ પ્રતિ ચો.મી. સસ્તા ભાવે અપાઇ છે. શું આ કોંગ્રેસી રાજ્યોએ ઉદ્યોગ વિકાસ માટે સસ્તી જમીન આપીને ભ્રષ્ટાચાર કર્યો છે?કોંગ્રેસના નેતાઓ, ગુજરાતના વિકાસને કેટલા રાજકીય વિરોધી દ્વેષભાવથી તોલે છે તેનું એક બીજુ દ્રષ્ટાંત આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે અદાણી ઇન્ડસ્ટ્રીઅલ ગૃપને તા.૩૧-૧-૯૭ના આદેશથી અને તા.૮-૧૦-૯૭ના આદેશથી તત્કાલિન રાજ્ય સરકારે રૂા. એકના ટોકન ભાવે મુન્દ્રામાં જમીનો આપી હતી તે વખતે કોંગ્રેસ સમર્થિત મુખ્યમંત્રીશ્રી કોણ હતા? શ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા કરતાં મોટી લીટી તાણવાની ગુજરાતના કોંગ્રેસીઓમાં રતીભારની યોગ્યતા નથી અને જનતાનો ગૂમાવેલો વિશ્વાસ મેળવવાની લાયકાત પણ નથી, પરંતુ સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની લ્હાયમાં, ગુજરાતના જાહેરજીવનને લાંછન લગાવવા કે ગુજરાતમાં માત્રને માત્ર જનહિતના વિકાસને વરેલી નરેન્દ્રભાઇ મોદીની બેદાગ સરકાર પર રાજકીય જૂલ્મો ગૂજારવાથી જનતાનો વિશ્વાસ મેળવી શકાવાનો નથી. ગુજરાતની જનતાએ જેમ સ્થાનિક સ્વરાજ અને પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસને જે ધોબીપછાડ આપી છે તેવી બૂરી વલે, સમય આવ્યે ફરીથી, આ જ ગુજરાતની જનતા કોંગ્રેસની કરવાની છે એમાં મીનમેખ નથી.પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે નેનો પ્રોજેકટ નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં લાવીને ભારતના આ રાષ્ટ્રીય હિતના પ્રોજેકટને વિદેશ જતો અટકાવીને દેશહિતનું કામ કર્યું છે, અને ગુજરાતની વૈશ્વિક શાખ વધી છે, જેના પરિણામે આજે, ગુજરાત ગ્લોબલ ઓટો હબ બની રહ્યું છે તેને પણ, ગુજરાતના કોંગ્રેસીઓ શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્વેષભાવના વિરોધમાં સાંખી શકતા નથી.શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે કોંગ્રેસી નેતાઓને સીધો પડકાર કરતા જણાવ્યું કે નેનો પ્રોજેકટ માટે ગુજરાત સરકારે જે પ્રવર્તમાન નીતિવિષયક નિર્ણયો લીધા છે તેની તુલના કરતા, નેનો પ્રોજેકટને તત્કાલિન પશ્ચિમ બંગાળ સરકારે જે લાભો આપ્યા હતા તેના કરતાં ઓછા છે, એટલું જ નહીં કોંગ્રેસી મેમોરેન્ડમમાં જે રૂા. ૯પ૭૦ કરોડની લોન ટાટા મોટર્સને નેનો પ્રોજેકટ માટે આપી તેના જૂઠાણાને કોંગ્રેસી નેતાઓ પૂરવાર કરે કે કઇ બેન્કમાંથી, કેટલા નાણાની લોન, ગુજરાત સરકાર દ્વારા કોની સહીથી આપવામાં આવી?શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ઘોર વિરોધ કરવાના આંધળુકીયામાં, જૂઠાણા પૂરવારકરવાની જવાબદારી આ કોગ્રેસી નેતાઓએ લેવા તૈયાર છે ખરા એવો વેધક સવાલ પ્રવકતા મંત્રીશ્રીઓએ કર્યો છે.પ્રવકતા મંત્રીશ્રીઓએ કોંગ્રેસને પડકારતાં એમ પણ જણાવ્યું કે, મેમોરેન્ડમના એકેએક જૂઠાણાનો સણસણતો પ્રતિભાવ સાવ સહેલાઇથી આપી શકાય એમ છે પરંતુ, ગુજરાતની જનતા કે દેશની જનતામાં હવે કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારની દુર્ગંધ એટલી હદ સુધી પ્રસરી ગઇ છે કે ભવિષ્યમાં ભ્રષ્ટ કોંગ્રેસીઓને જનતા આગળ જ નાકલિટી તાણવી પડશે.ગુજરાતમાં તો ખેડૂતોને પણ તેની જમીનના બદલામાં ઔદ્યોગિક વિકાસમાં ભાગીદાર બનાવવાની પહેલ આ સરકારે કરી છે ત્યારે ભૂતકાળમાં ૧૯૮૦ થી ૧૯૯પ સુધી કોંગ્રેસી શાસકોએ સસ્તા ભાવે કોને કેટલી જમીનો આપી અને તેના કેવા ભ્રષ્ટાચારો થયેલા તે સરેઆમ જનતા જાણે છે, એમ તેમણે જણાવ્યું હતું.ગુજરાત જ દેશમાં એવું રાજ્ય છે કે જેણે પારદર્શક નીતિઓ અને સુશાસન દ્વારા જનતાના કરોડો અબજોના નાણાં ભૂતકાળના ભ્રષ્ટાચારોની સરકારી રીતરસમોથી બચાવીને, વિકાસ અને સુખાકારી માટે વાપર્યા છે અને તેથી જ, ગુજરાત આજે વિકાસની આટલી ઊંચાઇએ પહોંચીને દેશ અને દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે. આ માટેનું વિઝનરી અને કુશળ નેતૃત્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે. એકબાજુ કેન્દ્રની આખી કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર ભ્રષ્ટાચારના કાવાદાવાથી ખરડાઇ ગઇ છે તેની સામે, નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત સરકારની પ્રમાણિકતા સામે રાજકીય કાદવ ઉછાળવાના ગુજરાત કોંગ્રેસના લાખ જૂઠાણાના પેંતરાથી પણ કેન્દ્રના કોંગ્રેસી શાસનના ભ્રષ્ટાચારને છાવરી શકાશે નહીં.ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓનો કોંગ્રેસીઓના ગુજરાત વિરૂધ્ધ અપપ્રચારની સામે સણસણતો પ્રતિભાવ