મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાની બધી જ આર્થિક શક્તિને સંપૂટ કરીને ગુજરાતના ગામડાને સુખી અને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. એક મહિનાના કૃષિ મહોત્સવના અભિયાનને આગળ ધપાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતને કૃષિ ક્રાંતિનું નેતૃત્વ અપાવવા આહ્વાન કર્યું હતું.અખાત્રીજથી ગુજરાતમાં શરૂ થયેલા કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓનો વિશાળ કૃષિ મેળો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપૌંઢા ગામે મુખ્ય મંત્રીશ્રીએ ખુલ્લો મુકયો હતો. વનવાસી કિસાન શક્તિના સામર્થ્યની પ્રતિતીરૂપે આદિવાસીઓના કૃષિ અને પશુપાલન આધારિત સમૃદ્ધિના સપના સાકાર કરવા તાલુકા કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.મોટાપૌઢામાં વનવાસી ક્ષેત્રોના પશુપાલકો માટે એક લાખ લીટર દૂધની પ્રક્રિયાનું રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવતા મિલ્ક ચિલિંગ પ્લાન્ટ અને મોડર્ન પેકેજિંગ સેન્ટરનું લોકાર્પણ કરીને નાના પૌંઢામાં કૃષિ મહોત્સવમાં આવી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભરઉનાળામાં એક મહિના સુધી ૧૮,૦૦૦ ગામોમાં કૃષિ મહોત્સવના માધ્યમથી ગ્રામ વિકાસના સર્વાંગી સપના સાકાર કરવામાં કિસાન પરિવારોના ઉમંગને આવકાર્યો હતો.ધોમધખતા ઉનાળામાં ખેડૂતોની અને ખેતીની ચિંતા કરનારી આ સરકારની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સફળતાએ ગુજરાતને ભારતમાં કૃષિક્રાંતિના નેતૃત્વનું ગૌરવ અપાવ્યું છે. ખેડૂતની અનેકવિધ પ્રકારની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઉકેલ આ કૃષિ મહોત્સવના અભિયાનથી ગુજરાત સરકાર લાવી શકી છે. ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૭૦૦ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અને એક લાખ જેટલા સરકારી કર્મયોગીઓ ખેતરો ખૂંદી રહ્યા છે. તેના પરિણામે સાત-સાત વર્ષથી ગુજરાતના કિસાનોએ ખેતીનું ઉત્પાદન અગાઉ રૂા. ૧૪,૦૦૦ કરોડની કૃષિની આવક હરણફાળ ભરીને રૂ. પ૯,૦૦૦ કરોડ ઉપર પહોંચી છે અને આ વર્ષે તો રૂા. ૭૦,૦૦૦ કરોડનો ખેત ઉત્પાદનનો વિક્રમ સર્જશે.મોટાપૌઢાના મિલ્ક ચિલીંગ પ્લાન્ટના લોકાર્પણનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસી કિસાન પરિવારની નારીશક્તિએ હવે દૂધના વેપારમાં પોતાનું સામર્થ્ય પુરવાર કર્યું છે.ખેતીવાડીના બધા જ પાસાઓ વિશે ખેડૂતને સમજ આપવાના અનેક પ્રયોગોથી જમીનની સુધારણા થઇ, ઉત્તમ બિયારણ અને સરખી માવજતથી બાગાયત ખેતીમાં વાડી પ્રોજેકટથી આદિવાસી ખેડૂત મબલખ આવક મેળવતો થયો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ગુણવત્તા ટકાવી રાખવાના રાજ્ય સરકારના આ પ્રયોગને ભારત સરકારે પણ દેશમાં અપનાવવાની નેમ રાખી છે. ગુજરાત સરકારની જમીન અને પાણીની સમસ્યા ઉકેલવા કેટકેટલી મથામણ કરી છે તેની રૂપરેખા તેમણે આપી હતી અને ખેતીના સુધારેલા આધુનિક ઓજારોથી યાંત્રિક ખેતી માટે કૃષિ ટેકનોલોજી ગામડામાં કિસાનો સામૂહિક ધોરણો અપનાવતા થયા છે.મૂલ્યવર્ધિત ખેતીના રૂપાંતર પ્રક્રિયાથી આદિવાસી ક્ષેત્રમાં કેળાની ખેતી અને તેની મૂલ્યવર્ધિત પેદાશોની નિકાસ માટે પણ વનવાસી ખેડૂતો કઇ રીતે સક્ષમ બને તેની સ્વયંસ્પષ્ટ સમજ પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. ખેતીની સાથે પશુપાલનની સમૃદ્ધિ સાથે ગુજરાત સરકારે હવે ખેતીને ત્રણ ભાગમાં વિકસાવવા ખેડૂતોને આહ્વાન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, નિયમિત ખેતી, પશુઉછેર દ્વારા દૂધ ઉદ્યોગ અને વૃક્ષોની ખેતીથી ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થયો છે.પશુ-છાત્રાલયનો આખા દેશમાં પશુ ઉછેરનો પર્યાવરણલક્ષી પ્રયોગ પહેલીવાર આકોદરા એનિમલ હોસ્ટેલ શરૂ કરીને સફળ બનાવ્યો તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ગામે ગામ પશુ છાત્રાલય ઉભા કરીને સમગ્ર ગામમાં પશુની ઉત્તમ માવજતથી ગામડાની આર્થિક શક્તિને સંપૂટ કરી લેવા તેમણે આહ્વાન આપ્યું હતું.જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે ૧૦ ટકાથી વધુનો દર હાંસલ કર્યો છે. કૃષિ મહોત્સવના બહુઆયામી પગલાંને કારણે ગુજરાત કૃષિક્ષેત્રે સમગ્ર દેશ માટે ‘મોડેલ' સ્વરૂપ બન્યું છે.કૃષિ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે પણ અનેક પગલાં લેવાયા છે. ગુજરાતમાં પાક પદ્ધતિમાં પરિવર્તન, ડ્રીપ ઇરીગેશન, અદ્યતન ખેતપેદાશો, વધુ ઉત્પાદન જેવા અનેક ફાયદા ખેડૂતોને કૃષિ મહોત્સવને કારણે થયા છે, એમ જણાવી રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી હરિયાળી ક્રાંતિની રૂપરેખા કૃષિ મંત્રીશ્રીએ આપી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરશે જેના દ્વારા જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે ખેડૂતોને સ્પર્શતા પાણી, સિંચાઇ, ચેકડેમ, બોરીબંધ વગેરે ક્ષેત્રે અનેક પગલાં લેવાયા છે.બાગાયતી પાકો માટે રાજ્યમાં અગ્રેસર એવા વલસાડ જિલ્લામાં શાકભાજી ઉત્પાદનથી ખેડૂતોના જીવનધોરણમાં આવેલા પરિવર્તનની ઝાંખી કરાવી વન, પર્યાવરણ અને આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે કૃષિ મહોત્સવમાં ઉમટેલી જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ બાદ અંતરિયાળ વિસ્તારોમાં પણ ફુલો સહિતના વિવિધ પાકો લેતા થયા છે. જે કૃષિ મહોત્સવની સફળતા દર્શાવે છે. રાજ્યના કૃષિ બજેટની ચર્ચા કરતાં મંત્રી શ્રી મંગુભાઈ પટેલે કૃષિ સહિત દરેક ક્ષેત્રોમાં રાજ્ય સરકારે ફાળવેલા બજેટની સરાહના કરી હતી. અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંઓની જાણકારી તેઓએ આ વેળા રજૂ કરી હતી.ગુજરાત વિધાનસભાના દંડક શ્રીમતી ઉષાબેન પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૃષિલક્ષી-ગ્રામ વિકાસનો અભિગમ કેળવીને ગ્રામવિકાસને ઉત્તેજન આપ્યું છે ત્યારે સૌએ વ્યાપક જનભાગીદારીથી કૃષિ મહોત્સવને વધાવી લેવો જોઇએ. તેમણે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવની સફળતાનો ચિતાર વર્ણવ્યો હતો.રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોની ચિંતા સેવીને રાજ્ય સરકારે સમયસર ઉપયોગી માર્ગદર્શન આપવા માટે ઉદાહરણરૂપ બાબત બની રહી છે. રાજ્યનો કૃષિ વિકાસ દર સતત વધતો રહ્યો છે. જે કૃષિ મહોત્સવની સફળતાની ફલશ્રૃતિ છે. શ્રી ચુડાસમાએ કન્યા કેળવણી મહોત્સવથી રાજ્યમાં કન્યા કેળવણીનો દર વધ્યો છે ત્યારે કૃષિ મહોત્સવથી કૃષિ વિકાસદર, ઉત્પાદન અને ખેડૂતોના બદલાયેલા જીવનધોરણનો પણ ખ્યાલ આપ્યો હતો.કૃષિ મહોત્સવ-ર૦૧૧ના કાર્યક્રમ દરમિયાન વલસાડ સહિત ગુજરાત કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રના જુદા જુદા જિલ્લાઓના પ્રગતિશીલ ખેડતોનું સન્માન તથા જુદા જુદા લાભાર્થીઓને મુખ્ય મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરાયા હતા.મુખ્ય મંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આ વેળા ખેતી ક્ષેત્રની ઉપયોગી પુસ્તિકા તથા સી.ડી.નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લાની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મુખ્ય મંત્રીશ્રીને કન્યા કેળવણી માટે ચેક અર્પણ કરાયા હતા.અંતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એ. આર. પાઠકે આભારવિધિ કરી હતી.આદિજાતિ ખેડૂતોના વિકાસ માટેના આ કર્મયજ્ઞમાં મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકી, મંત્રીશ્રીઓ સર્વશ્રી ઇશ્વરસિંહ પટેલ, રણજીતભાઇ ગીલીટવાળા, રાજ્યસભાના સાંસદ શ્રી કાનજીભાઈ પટેલ, શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રી સી. આર. પાટીલ, ધારાસભ્યો સર્વશ્રી દોલતભાઈ દેસાઇ, આર.સી.પટેલ, લક્ષ્મણભાઈ, ભારતીબેન, જીતુભાઈ, નરેશભાઈ, રમણભાઈ પાટકર, વિજયભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત અધ્યક્ષો, વસુધારા ડેરીના અધ્યક્ષ શ્રી મોંઘાઇ સહિત સરકારી ક્ષેત્રના અગ્રણીઓ, ૫શુપાલન વિભાગના અગ્રસચિવ શ્રી રાજીવકુમાર ગુપ્તા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા અને વિશાળ જનસમુદાય જોડાયો હતો.ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : ગુજરાતના કૃષિ મહોત્સવની સફળતા હવે ભારતના કૃષિપ્રધાન અર્થતંત્રમાં ક્રાંતિ લાવી રહી છે