મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુરૂવાર તા.૧૭ જૂન-ર૦૧૦થી સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ વર્ષઃ કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવના વિરાટ જનઅભિયાનનો પ્રારંભ થશે.પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટેનો આ વિરાટ સહિયારો પુરૂષાર્થ રાજ્ય સરકારનું સમગ્ર પ્રશાસન અને સમાજ સાથે મળીને હાથ ધરશે.સતત સાત વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આ જ્ઞાનયજ્ઞ, આ સ્વર્ણિમ જ્યંતી વર્ષે આઠમા જનઅભિયાન સ્વરૂપે ગ્રામપ્રદેશમાં ૧૭ થી ૧૯ જૂન અને શહેરી વિસ્તારમાં ર૪ થી ર૬ જૂનના ત્રણ દિવસો દરમિયાન યોજાશે.આ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી, સમગ્ર રાજ્ય મંત્રીમંડળ, સંસદીય સચિવશ્રીઓ, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ, ભારતીય સનદી સેવાના સચિવશ્રીઓ, ભારતીય પોલીસ સેવા અને વન સેવાના અધિકારીઓ તથા જિલ્લા અને રાજ્યસ્તરના વર્ગ-૧ અધિકારીઓ મળીને ર૩૦૭ પ્રશાસનીક કર્મયોગીઓને ત્રણે ય દિવસો દરમિયાન નિર્ધારિત ૧પ-૧પ ગામોની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં તેઓ ઉદીપક નેતૃત્વ પુરૂં પાડીને આ જનઅભિયાન દ્વારા પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક પ્રાણવાન, પરિણામલક્ષી અને ગુણવત્તાસભર બનાવવા પ્રેરક સ્વાન્તઃ સુખાય કર્તવ્યરત રહેશે. મુખ્યમંત્રીશ્રીએ આ સ્વર્ણિમ જ્યંતી વર્ષનો આઠમો કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો જ્ઞાનયજ્ઞ આવતીકાલના સુશિક્ષીત ગુજરાતની અનુભૂતિ કરાવનારો બની રહે તે માટેનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.સાત વર્ષમાં પ્રાથમિક શિક્ષણના આ પાયાના સ્તરથી ગુજરાત સરકારે ક્રાંતિકારી સુધારાની અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી છે અને દર વર્ષે શૈક્ષણિક વર્ષના પ્રારંભે જ, સરકાર અને સમાજ ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણ માટે સામાજિક સંવેદના અને જાગૃતિનું વાતાવરણ સર્જવાના આ જ્ઞાનયજ્ઞમાં જોડાઇને, પ્રાથમિક શાળાઓની બે સમસ્યાઓ પ્રવેશ-નામાંકનની ટકાવારી તથા ડ્રોપ આઉટ રેઇટની નીચી ટકાવારીનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવી છે.ગુજરાતમાં શાળાપ્રવેશ નામાંકન ૧૦૦ ટકા ઉપર પહોંચ્યું છે અને પ્રાથમિક શિક્ષણ છોડી જવાનો ડ્રોપઆઉટ ટકાવારી દર હવે માત્ર ર.ર૯ ટકા જ રહ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા શાળાના ૬૪૩૯૦ નવા ઓરડા, ૫૦૩૫૦ શાળા સેનિટેશન સુવિધા, ૧.૦પ લાખ વિદ્યાસહાયકોની નિમણૂંકો અને પીવાના પાણી, વીજળીની સવલત સહિત માળખાકીય સુવિધા વિકાસના ક્ષેત્રે લક્ષિત સિધ્ધિઓ સંપન્ન કરી છે, અને છેલ્લા ગયા વર્ષથી રાજ્યની બધી ૩૩૩૭૬ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓનું ગુણવત્તાનું સ્તર ઉંચે લાવવાની અભિનવ પહેલરૂપે ગુણોત્સવમાં પણ આખી સરકારની પૂરી તાકાત કામે લગાડી છે.પ્રથમ ગુણોત્સવ ર૦૦૯ની ફલશ્રુતિનું મૂલ્યાંકન યુનેસ્કો સંસ્થાએ કરેલું છે અને દરેક પ્રાથમિક શાળા, શિક્ષક તથા બાળકનું ગ્રેડેશન કરવાની શિક્ષણ વિભાગની સુધારાત્મક પધ્ધતિને અનોખી ગણાવી છે અને તેના અકલ્પનિય પરિણામો પ્રાપ્ત થયા છે.આ વર્ષે મુખ્યમંત્રીશ્રીએ ભૂલકાંઓના પાયાના લાલન-પાલન માટે માતા યશોદાના નંદઘર સ્વરૂપે આંગણવાડીઓનો સામાજિક મહિમા ઉજાગર કરીને, કરોડોની સંખ્યામાં અવનવા રમકડાંઓ દાનરૂપે એકત્ર કરવાની અપીલને સમાજના સુખી સંપન્ન પરિવારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. આ ત્રણ દિવસના જનઅભિયાનમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણ અને આંગણવાડીઓની ભૂમિકામાં જનભાગીદારીથી ગુણાત્મક પરિવર્તન લાવવાની નેમ રાખવામાં આવી છે.આ વર્ષે ધોરણ ૮ ના વર્ગનો પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કરીને પ્રાથમિક તબકકે પ૦૦૦ શાળાઓમાં ધો-૮ ના વર્ગ શરૂ થશે. આ ઉપરાંત વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયોના તાલીમબધ્ધ ખાસ શિક્ષકો દરેક શાળામાં ફરજ બજાવશે. શિક્ષકો વિદ્યાર્થીઓનો વર્ગ દીઠ રેશિયો સુધારવામાં આવ્યો છે.આંગણવાડીમાં બાલભોગ અને પ્રાથમિક શાળામાં મધ્યાન્હ ભોજન માટેના પોષક આહારના ગુણાત્મક પરિણામોની નવી પહેલ માત્ર ગુજરાત સરકારે જ કરી છે. કન્યા કેળવણી યાત્રા દરમિયાન ગામની પ૦ કે ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલી શાળાઓની ઉજવણી, શિક્ષિત વડિલોનું સન્માન અને ગામની શાળામાં ભણીને વિવિધ કાર્યક્ષેત્રમાં યોગદાન આપનારા વ્યકિતઓનું સન્માન, યોગ શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ સહિતના અનેકવિધ નવતર આયામો તેમજ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોએ સ્વયંસ્ફૂરણાથી કરેલી પહેલને પ્રોત્સાહિત કરવા સહિત આ વર્ષનો સ્વર્ણિમ વર્ષ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો જ્ઞાનયજ્ઞ સ્વર્ણિમ ગુજરાતની આવતીકાલના નાગરિકો માટે અનોખો પુરૂષાર્થ બની રહેશે. માહિતી કમિશનરની કચેરી વધુ વાંચો : ગુરૂવારથી સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ વર્ષઃ કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવ જનઅભિયાનનો પ્રારંભ