મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એવો વિશ્વાસ વ્યકત કર્યો કે ગાંધીનગરના મહાત્મા મંદિર નિર્માણમાં ગામે-ગામની ધરતીની માટી અને જળ કળશનો અભિષેક ગુજરાતના જાજરમાન-ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખવાની જનશકિતની ઐતિહાસિક ધટના બની રહેવાની છે. ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિ નિમિત્તે પાટનગરમાં આકાર લઇ રહેલું મહાત્મા મંદિર એ વિશ્વમાનવ-યુગપુરૂષ મહાત્મા ગાંધીના જીવન-કવન અને શાશ્વત મૂલ્યોને સદાકાળ ચિરંજીવ રાખનારૂં માનવ કલ્યાણ- વિશ્વ કલ્યાણ કેન્દ્ર બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. મહાત્મા મંદિરના નિર્માણમાં ગામેગામથી સરપંચશ્રીઓ અને ગ્રામીણ જનશકિત દ્વારા માટી અને જળ કુંભ-કળશ અર્પણ કરવાના અભિયાનમાં આજે છઠ્ઠા દિવસે મુખ્યમંત્રીશ્રીએ ૧પ૯૬ ઉપરાંત ગામો-નગરોના જળ-માટી કુંભ કળશ સ્વીકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય બાપૂના ગ્રામ રાજ્યથી રામરાજ્યના સપનાને સ્વર્ણિમ જ્યંતિ વર્ષ મૂર્તિમંત કરવાનું આહવાન કરતાં જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતિનો આ અવસર વિકાસના જયજયકારનો અને વિવાદને દેશવટાનો અવસર બનાવવો છે. ગ્રામીણ ક્ષેત્રના વિકાસના અનેક નવતર આયામો થકી પ્રત્યેક ગામ અને નગર પોતાના પાછલા પ૦ વર્ષના વિકાસના વિક્રમો તોડીને નવા વિકાસ કિર્તિમાન સ્થાપવાનો સ્વર્ણિમ સંકલ્પ કરે તેવું ક્રાંતિકારી સૂચન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિના અવસરમાં ગ્રામીણ જનશકિત અને સરપંચોના મળી રહેલા સહયોગની પ્રસંશા કરતા જણાવ્યું કે આ જનશકિતના પુરૂષાર્થ-પ્રયાસ અને યોગદાનથી જ ગુજરાતે વૈશ્વિક પ્રગતિની નવી દિશા દર્શાવી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણિમ જ્યંતિને ગુજરાતના ગ્રામીણ જીવન સહિત સમગ્ર રાજ્યની કાયાકલ્પ કરવાનો અને વિકાસની ઊંચી છલાંગ લગાવી તે જ રફતારથી પ્રગતિ કરવાનો ઉજવણી અવસર ગણાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ફકિરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે નિર્માણ પામનારા આ મહાત્મા મંદિરમાં દેશભરના જુદા જુદા રાજ્યો ઉપરાંત વિશ્વના અનેક દેશોના પવિત્ર જળ અને માટી અર્પણ થયા બાદ રાજ્યના પ્રત્યેક ગામના પવિત્ર જળ-માટી આ મંદિરના નિર્માણ માટે અર્પણ થઇ રહ્યા છે ત્યારે આ મંદિરના નિર્માણમાં પ્રત્યેક ગુજરાતીનું યોગદાન મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ માનવ મહાત્મા ગાંધીજીનું આ મંદિર ગાંધીજીના સત્ય-અહિંસાનો સંદેશો સાક્ષાત્કાર કરાવશે. આ મંદિર વિશ્વને ગાંધી મૂલ્યોની સતત પ્રેરણા આપશે. મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાએ સ્વર્ણિમ જ્યંતિ વર્ષે યોજાનારા ખેલ મહાકૂંભ, ગરીબ કલ્યાણ મેળા, સ્વર્ણિમ ગુજરાત કૃષિ મહોત્સવની માહિતી આપી રાજ્યના તમામ વર્ગના નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું. મહાત્મા મંદિરના નિર્માણમાં પોતપોતાના પ્રદેશના પવિત્ર જળ-માટી લઇ કારસેવા માટે ઉપસ્થિત સૌ સરપંચો, નગરપાલિકાના પ્રમુખોને આવકારતા રાજ્યના પંચાયત અને ગ્રામવિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા મંદિરનું નિર્માણ એ માત્ર સરકારનું નહિં, સમગ્ર ગુજરાતનું કાર્ય છે એટલે જ મંદિરના નિર્માણમાં દેશ અને દુનિયાના જ નહિં સમગ્ર રાજ્યના ગુજરાતીઓ પણ જોડાયા છે. મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નૂતન ઊંચાઇ હાંસલ કરી છે. આમ છતાં કેટલાંક વાંકદેખા લોકો ખોટી ટીકા કરતા જ રહ્યા છે. ગુજરાતે શ્રેષ્ઠ વિકાસ દ્વારા આ ટીકાખોરોને સણસણતો જવાબ આપ્યો છે. મહાત્મા મંદિરના કારસેવાના આજના દિને ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પરબતભાઇ પટેલ, વન રાજ્યમંત્રી શ્રી કિરીટસિંહ રાણા, સ્વર્ણિમ ગુજરાત ઉજવણી સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી આઇ. કે. જાડેજા, સંસદિય સચિવશ્રી જયદ્રથસિંહ પરમાર ઉપરાંત ધારાસભ્યો, અગ્ર સચિવ સર્વે શ્રી આર. એમ. પટેલ, શ્રી ડી. કે. રાવ, શ્રી તનેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસદિય સચિવ શ્રી ઇશ્વરભાઇ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને રાજ્યના ર૦૦૦થી વધુ ગામના સરપંચો, નગરપતિઓ સહિતના જનપ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહાએ સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : મહાત્મા મંદિર વિશ્વ કલ્યાણ માટેનું પ્રેરણા કેન્દ્ર બનશે - મુખ્યમંત્રીશ્રી